સોલસેટ: (આત્મસેતુ – પોતાને ઓળખવાનો પંથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
આ બધા પડદાની પાછળ એક અગમ્ય તત્વ છે – આત્મસેતુ. જે આપણને જીવમાંથી લઈ જીવાત્મા સુધી પહોંચાડે છે. જ્યાં બધું મૌન છે, જ્યાં બધું શાંત છે.
જૈનધર્મમાં "સ્વાધ્યાય" અને "સમ્યકદર્શન" એ આત્માનું ગૌરવગાન છે. યુવાનો માટે અહીં સૌથી મોટું કાર્ય છે – પોતાની અંદર ઉતરવાનું. રોજની કશમકશ વચ્ચે પોતાને થોડી ક્ષણો આપવા – સૂફી ભાસ્કરના શબ્દોમાં કહીએ તો: "એક પળ વિતાવું છું, જ્યાં હું માત્ર હું છું."
આ સોલસેટ એ છે, જ્યાં ધ્યાનનો અભ્યાસ માટે તણાવને દૂર કરવા માટે નહીં, પણ આત્માનો અહેસાસ કરવા માટે થાય છે. જયાં ધ્યાન માત્ર એક ટેકનિક નથી, પણ જીવનશૈલી બને છે. જયાં પ્રશ્ન એ નથી કે હું શું છું, પણ પ્રશ્ન એ છે કે હું કોણ છું?
જ્યારે યુવાન પોતાના અંદરના તત્ત્વ સાથે જોડાઈ જાય છે, ત્યારે બાહ્ય વિશ્વની શૂરવીરતા ગૌણ બની જાય છે – અને અંતરમાં શાંતિનો શહેનશાહ ઉભો થાય છે.
આંતરિક સામ્રાજ્ય બનાવવું એ કંઈ ખાલી ધ્યાન અને વિચારસીમામાં આવે એટલી જ વાત નથી – એ તો દિનચર્યાની ગૌરવશાળી ક્રાંતિ છે.
*માઇન્ડસેટ આપશે દિશા, હાર્ટસેટ આપશે ઊર્જા, હેલ્થસેટ આપશે સાધન અને સોલસેટ આપશે સાધ્ય.*
આ ચાર તત્વો સાથે આજે જો યુવાન પોતાના આંતરિક સામ્રાજ્યનું સર્જન કરે – તો તે માત્ર પોતાનું નહિ, દુનિયાનું ભવિષ્ય પણ ઉજળું બનાવી શકે છે.
*જૈનમંત્ર છે:*
"અપ્પા કાહા વિ ઝાણેહિ – પોતાને જાણો, પોતે જ પોતાનું શ્રેષ્ઠ સાધન છે."
તો ચાલો, આજે આપણી અંદર એક શાંત, શાસ્ત્રયુક્ત, શાંતિમય અંદરનું સામ્રાજ્ય ઊભું કરીએ – જે ક્યારેય ખંડિત ન થાય, અને જ્યાં યુવાન રાજા નહીં, ગૃહસ્થીમાં રહીને પણ એક સાચો સંત બની શકે છે.
હેલ્થસેટ: (શરીર એ સાધન છે – સાધ્ય નહીં): સમણ શ્રુતપ્રજ્ઞજી
શરીર એ ઉપકરણ છે – અને જયારે એ સત્વથી ભરેલું હોય ત્યારે જ આપણે જ્ઞાન, સાધના અને સેવા તરફ આગળ વધી શકીએ. પણ આજના યુવાનોનું શરીર ઘણીવાર પોતાને જ સંકેતો આપે છે – ઊંઘ ઘટી છે, આહાર અયોગ્ય છે, યોગ ભૂલાઈ ગયો છે, અને આખું જીવન તંત્ર અસંતુલિત છે.
જૈનધર્મ અમૂલ્ય પદ્ધતિ આપે છે – સાત્વિક આહાર, ઉપવાસ, રાત્રિભોજન ત્યાગ, સમયસર સૂવું, અને શરીર પ્રત્યે જાગૃતિ કેળવવી. સાચું હેલ્થસેટ એ છે જ્યાં આપણે માત્ર ભોગ કેન્દ્રીત જીવવા માટે નહિ, પરંતુ ઉચ્ચ ગુણવત્તા વાળું જીવન જીવવા માટે શરીરને સ્વસ્થ રાખીએ.
કસરત, યોગ અને શ્વાસ- વ્યાયામ એ માત્ર શરીરને જ શક્તિશાળી બનાવે છે એવું નથી પણ સાથોસાથ આપણી આંતરિક ઉર્જામાં વધારો કરે છે. આ ઉર્જા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનું સુત્રધાર બની જાય છે. સાચો યુવાન એ છે, જે પોતાનું આરોગ્ય જાળવવાને પોતાનો ધર્મ સમજે. કારણ કે આરોગ્ય વિના કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ – ધ્યાનથી લઈને સેવા સુધી – સંભવ નથી.
આજ પૂરતું નહીં પણ હમેશા માટે – આપણું શરીર એ આપણું મંદિર છે એમ સમજી આરોગ્યના આટલા નિયમો દ્રઢતાથી પાડવા જોઈએ:
હેલ્થ સેટના ઉત્તમ વિકાસ માટેના પગલાં:
*કસરત (Exercise):*
દરરોજ સવારમાં ઉઠીને પરસેવો આવે એટલી કસરત કરવી જોઈએ.
સાયકલ ચલાવવી, દોડવું, કૂદવું અને યોગાસન કરવાં મુખ્ય કસરતના પ્રકારો છે.
સૂર્યોદય પહેલા કસરત કરવાની ટેવ તમારા આખા દિવસને ઊર્જાવાન બનાવે છે. કસરતથી ડોપામાઇનનો સ્ત્રાવ થાય છે જેનાથી નવી ઊર્જા, આનંદ અને ઉત્તમ વિચારશક્તિ મળે છે.
*વિશ્રામ (Rest):*
દિવસ દરમ્યાન પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. દરરોજ 10:30 વાગ્યા સુધીમાં ઊંઘવાનું શેડ્યુલ રાખવું. સોશિયલ મીડિયા જેવા વ્યસનોથી બચવું અને માનસિક આરામ માટે ધ્યાન કે પ્રસન્નતાપૂર્ણ પ્રવૃત્તિઓ અપનાવવી.
*સાત્વિક આહાર (Healthy Diet):*
ભોજનની પદ્ધતિ સાત્વિક, પૌષ્ટિક અને તાજી હોવી જોઈએ.
~ દર ત્રણ વર્ષે આરોગ્ય પ્રમાણે આહાર પદ્ધતિમાં ફેરફાર કરવો યોગ્ય રહે છે.
~જાપાની પ્રેરણા મુજબ, ૨૦% પેટ ખાલી રાખીને ખાવું દીર્ઘ આયુષ્ય અને નિરોગી શરીર માટે લાભદાયી છે. જેને જૈન ધર્મ ઉણોદરી કહે છે.
પ્રાચીન આયુર્વેદ જણાવે છે: *"તમારું ભોજન જ તમારું ઔષધ છે."*
*યોગ અને ધ્યાન (Yoga & Meditation):*
યોગ બિમારી પછી નહીં, પણ બિમારી પહેલાંથી શરૂ કરો — એ જ સાચી આરોગ્ય જાગૃતિ છે. બિમારી આવ્યા પછી યોગ કરવો એ મજબૂરી છે.
*પરંપરાગત આરોગ્ય નિયમો (Traditional Health Practices):*
~ વહેલા ઊઠવું
~ નિયમિત ઉપવાસ
~ પ્રકૃતિમાં ફરવું
~ તેલ માલિશ
~ એક્યુપંકચર/ એક્યુપ્રેશર
~ પોષક સપ્લિમેન્ટ્સ
હાર્ટસેટ: (લાગણીઓનો ધર્મપથ): સમણ શ્રુતપ્રજ્ઞજી
માઈન્ડસેટ ગોઠવ્યા પછી હાર્ટસેટ ગોઠવવું આવશ્યક છે. દુ:ખ, ક્રોધ, નિરાશા, હતાશા, દ્વેષ જેવી દબાયેલી લાગણીઓમાંથી મુક્ત થવું જરૂરી છે. દબાયેલી લાગણીઓના ઢગલાં આપણની પ્રતિભા અને ઊર્જાને દબાવી દે છે. જુના લાગણીના ઘાવોને ઓળખી બહાર લાવવાનું અને ઉપચાર કરવાનું કામ અત્યંત જરૂરી છે.
આઘાત કોઈ નકારાત્મક શબ્દ નથી; તે જીવનનો શિક્ષક બની શકે છે. એ મુશ્કેલીઓમાંથી પસાર થવાનું શીખવે છે. ખોવાયેલ સર્જનાત્મકતા પાછી લાવવાનું કામ કરે છે. ભરોસાપાત્રતા, વિનમ્રતા અને હૃદયની કોમળતાનું સાચું સ્વરૂપ પેદા કરે છે. જીવનમાં ભેગા થયેલા આઘાતો તમારી સૌથી મોટી પાઠશાળા બની શકે છે. જો તમે આ દુ:ખદ ઘટનાઓ પચાવી શકો તો તમારો કલાત્મક ઢબે વિકાસ થાય છે, સંવેદનશીલતા અને આધ્યાત્મિક સ્વતંત્રતા ફૂટી નીકળશે. દબાયેલી લાગણીઓને ખોલી શકશો તો તમારો ઈશ્વરીય શક્તિ સ્ત્રોત ખીલશે.
જૂના અને હૃદયની ગુફામાં દબાયેલા આઘાતો હટાવ્યા વગર જીવનમાં સફળતા, આનંદ અને શાંતિ શક્ય નથી. હૃદય અને મગજની અંદરની શુદ્ધિ કરવી તાત્કાલિક જરૂરી છે. તેનાથી તમારી ગ્રહણશક્તિ, સમજશક્તિ અને સ્ફૂર્તિમાં નોંધપાત્ર સુધારો થાય છે. વેદના અને જૂના ઘાવ મગજને ધૂંધળું અને હૃદયને મૂર્છિત બનાવે છે. જ્યારે તમે દિલની પીડાને ઓળખો છો, એમને સ્વીકારો છો અને હીલીંગ તરફ આગળ વધો છો, ત્યારે તમે ખરેખર વધુ સ્વસ્થ, વધુ ખુશ અને વધુ મુક્ત બની શકો છો.
આજના યુવાનો ઘણી વખત પોતાની લાગણીઓને ગુપ્ત રાખે છે, છુપાવીને રાખે છે, અને આમ છતાં એ દુનિયામાં બધું સાબિત કરવા પાછો ઉત્સુક રહે છે. પરંતુ સાચી શક્તિ તો પોતાની ભીતરના તોફાનો સાથે સંવાદ સાધવામાં છે.
જૈન મૂલ્યો કહે છે – *"અહિંસા પરમો ધર્મઃ"*, અને એ અહિંસા માત્ર બહાર બીજા સાથે કરવાની નથી – સૌથી પહેલા તો તે તમારી પોતાની લાગણીઓ સાથે કરવાની છે. જયાં તમને દુઃખ મળ્યું છે, જયાં કોઈએ દુઃખ આપ્યું છે, ત્યાં તમે શું શીખ્યા એ મહત્વનું છે. પોતાની જાતને પોતાની લાગણીઓથી ઘાયલ ન કરવું એ સાચી અહિંસા છે.
અન્યથા આપણા હૃદયમાં દબાયેલી ઝેરી લાગણીઓ – ગુસ્સો, ક્રોધ, વૈર અને અફસોસ – એક એક કરીને આપણા વ્યક્તિત્વની પાંખો કાપી નાખે છે. ખરા હાર્ટસેટમાં તો ક્ષમાયુક્ત વ્યવહાર અને સદ્ભાવ છે. ક્ષમાપના માત્ર વચનમાં અને બીજાના પ્રત્યે જ નહીં, પરંતુ હૃદયની અંદર જે દબાયેલી અગણિત લાગણીઓ છે એને માફ કરી દેવામાં છે.
ટ્રોમા અને આઘાત જે આપણા જીવનમાં અવાર નવાર આવતા હોય છે, એ ખરેખર અભિશાપ નથી – સાચા અર્થમાં તે જ આપણી પાઠશાળા છે. એમાંથી બોધપાઠ શીખીએ તો જ આપણું હૃદય શુદ્ધ થાય. જેમ પંખીઓ પોતાના ઘાવો સહન કરી ઊંચા આસમાને ઊડે છે, તેમ આપણે પણ આપણા ભીતરના ઘાવને સમજીને, યોગ્ય જગ્યાએ પ્રગટ કરીને આપણી પોતાની જ આંતરિક ઊંચાઈ સુધી પહોંચી શકીએ છીએ. હાર્ટસેટ એ છે – સૌંદર્ય સાથે જીવન જીવવાની કળા. જ્યાં સાચા અર્થમાં કૃપા, કૃતજ્ઞતા અને ભવ્યતાનો આરંભ થાય છે.
*માઇન્ડસેટ:* (વિચારશક્તિથી વિકાસશક્તિ સુધી)
આધુનિક યુગમાં તકો અને અવસરો અસંખ્ય છે, જાણકારીનો મૂશળધાર વરસાદ છે, સાધન સામગ્રીનો પ્રચુર વૈભવ છે. છતાંય દરેક હૃદયમાં એક ખાલીપો છે અને એ ખાલીપો છે *આંતરિક અસ્થિરતાનો.* યુવા પેઢી સામે દુનિયાને જીતી લેવાના ઘણાં રસ્તાઓ છે, પણ પોતાને જીતી લેવાનો માર્ગ ધૂંધળો છે. સાચું સામ્રાજ્ય ન કોઈ રાજ્યમાં છે, ન રાજ્ય-ઘટનામાં. સાચું સામ્રાજ્ય તો વ્યક્તિના અંદરના જગતમાં છે. જ્યાં શાંતિ હોય, જ્યાં ગહેરુ મૌન હોય – જ્યાં વિકાસની ધૂનમાં આંતરિક સંતુલનનું સંગીત પણ વાગે છે. આવા આંતરિક સામ્રાજ્યની જ આજના યુવાનોને મોટી જરૂરિયાત છે.
અને એ માટે જરૂરી છે પહેલી બાબત જરૂરી છે - માઇન્ડસેટ:* (વિચારશક્તિથી વિકાસશક્તિ સુધી)
એક યુવાનનું મન એ તેના જીવનનું કમાન્ડ સેન્ટર છે. જો આ મગજ સંકુચિત વિચારોથી ભર્યું હોય, તો તે જેટલો આગળ ધપે છે, તેટલો વધુ અંદરથી ખાલી પડી જાય છે. છતાં જો એનું મગજ મજબૂત પણ નરમાશવાળું, આત્મવિશ્વાસથી ભરપૂર પણ નમ્ર હોય – તો એ કોઈ પણ પરિસ્થિતિને અનુરૂપ બની શકે છે.
જૈનધર્મ આપણને શીખવે છે – *"અનેકાંતવાદ"*, એટલે કે અનેક દૃષ્ટિએ ચિંતન કરવાનો દૃષ્ટિકોણ. એ જ શિક્ષણ માઇન્ડસેટ માટે ધ્રુવતારો બની શકે છે. જેઓ જીવનમાં ફિક્સ મગજ લઈને ચાલે છે – જેમ કે, "મને તો આવું જ ગમે", "હું તો અમુક જગ્યાએ જ સૂઈ શકું", "મને અમુક લોકો સાથે જ ફાવે" " મને તો આ પ્રકારની ચા હોય તો જ ભાવે",- આવા લોકો પોતાના જ મગજ સાથે બંધાઈ જાય છે અને જીવન તેને એકાએક એવો યુ ટર્ન આપી દે છે કે જ્યાં એને ધારેલા બધા ગણિતોને બદલવા પડે છે.
માઇન્ડસેટ એટલે, તમારા વિચારોની વણાટ. એમાં જેટલું લચકપણું હશે એટલા તમે સ્વતંત્ર હશો. એક જૈન યુવક તરીકે જીવનમાં તમારો મંત્ર બની બનાવી લ્યો – "જ્યાં છું ત્યાં ખુશ છું, જે છે એ પૂરતું છે, જે મળે એમાં આનંદ છે."
અંતે વાત એ છે કે જેમ પાણી પોતાનું સ્વરૂપ નદીનાં વળાંક મુજબ બદલે છે પણ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, એમ માઇન્ડસેટ એ છે કે જ્યાં સ્થિરતા અને સંવેદનશીલતા બંને સાથે ચાલે, જ્યાં મૂલ્યોની દૃઢતા અને વર્તનની નરમાશ સાથે ચાલે.
साधना यात्रा: सातवाँ दिन
कुन्नूर (तमिलनाडु)
23 अप्रैल, 2025
अप्रैल का महीना कुन्नूर के लिए सुहावने मौसम का प्रतीक है। 20 डिग्री तापमान में प्रकृति की गोद में आनंद लेने के सुनहरे पल हैं।
सुबह का ध्यान आदि क्रम पूर्ण कर 6:30 बजे हरियाली से घिरे प्रदूषण-रहित प्राकृतिक वातावरण में वॉक का विशेष आनंद लिया। मुकेशजी एवं अमन के स्थानएक घंटे की वॉक के बाद भी ऐसा लग रहा था मानो एक और घंटे आराम से चला जा सकता हूँ — शरीर में उतनी ऊर्जा छलक रही थी।
इसके बाद नियमानुसार ध्यान में बैठा। अब नियमित लंबे ध्यान के कारण विकल्प शांत पड़ते जा रहे हैं।
दोपहर में अमन के घर गोचरी लेने गया। इसके बाद पास की एक चाय फैक्ट्री का दौरा किया। चाय कैसे बनती है, इसकी पूरी प्रक्रिया देखना और समझना अपने आप में एक सीखने योग्य अनुभव था। शाम को प्रार्थना और ध्यान का क्रम पूर्ण कर कुछ आत्मीय जनों के साथ सत्संग में बैठा।
आज फुर्सत के समय में रॉबिन शर्मा की पुस्तक को आगे पढ़ रहा था। उन्होंने लिखा है कि यदि मनुष्य हर दिन की शुरुआत अच्छे विचारों के साथ करे, तो जीवन की गुणवत्ता में अप्रत्याशित वृद्धि हो सकती है। सुबह के शांत वातावरण में कुछ सूत्रों को रोज़ दोहराना चाहिए, जैसे:
✓ आज का दिन मेरे लिए ईश्वर के वरदान के समान है, मैं इसका सम्मान करता हूँ। मैं इस दिन को भरपूर जिऊँगा और इसका सार्थक उपयोग करूँगा। आने वाला कल केवल एक कल्पना है, आज ही सच्चाई है।
✓ मैं सर्वश्रेष्ठ बनने का प्रयास करूँगा, पीड़ित अनुभव करने का नहीं। मैं दूसरों की नकल नहीं करूँगा, बल्कि मेहनत से आगे बढ़ूँगा, अपना रास्ता खुद निर्मित करुंगा।
✓ मैं कायर नहीं, साहसी बनूँगा। अपनी ऊर्जा दूसरों की आलोचना या शिकायत में नहीं, बल्कि रचनात्मक कार्य में लगाकर अपनी शक्ति का गौरव बढ़ाऊँगा।
✓ आज मैं चिंतन और डायरी लेखन के लिए समय निकालूँगा। समय नष्ट करने वाली बातों से दूर रहूँगा और अपने संकल्प के अनुसार दिनचर्या को सार्थक बनाऊँगा।
✓ आज मैं स्वयं को एवं दूसरों को दिए गए प्रत्येक वचन को निभाने का प्रयास करूँगा। अच्छी आदतों को अपनाऊँगा और वही पाना चाहूँगा जिससे चित्त प्रसन्न हो।
✓ बातों से ज़्यादा कर्म पर ध्यान दूँगा। गैर-ज़िम्मेदार व्यवहार के बजाय ठोस परिणाम दूँगा।
✓ यदि मुझे विश्राम की आवश्यकता होगी, तो मैं उसे समय की बर्बादी नहीं मानूँगा। क्योंकि उचित विश्राम के बिना कार्य की अधिकता मेरी क्षमता को और घटा देगी।
✓ आज मैं कल से अधिक समर्थ, अधिक आशावादी, अधिक मुस्कुराता और अधिक करुणामय रहूँगा।
✓ अंत में जब मैं मृत्युशैया पर होऊँगा, तो यह महत्वपूर्ण होगा कि मैंने कितनों को प्रेरणा दी, कितनों की देखभाल की और कितनों के प्रति बड़ा मन रखा।
✓ उच्च सिद्धांतों की ओर मेरी यह यात्रा — मेरी ये छोटी-छोटी जीतें ही मुझे मेरी ऊँचाई और सच्चाई से परिचित कराती हैं।
हर दिन की तरह आज का दिन भी अर्थपूर्ण रहा। मन शांत है, विकल्प अभी छुट्टी पर है, और जागरूकता के पलों का अद्भुत आनंद मिल रहा है।
~ Samanji Shrutpragyaji
સાધના યાત્રા: સાતમો દિવસ
કુન્નૂર(તમિલનાડુ)
એપ્રિલ ૨૩, ૨૦૨૫
એપ્રિલ મહિનો અહીં કુન્નૂર માટે પ્લેઝન્ટ મોસમનો દિવસ. ૨૦ ડિગ્રી ટેમ્પ્રેચર એટલે પ્રકૃતિના ખોળે આનંદ માણવાની ક્ષણો છે.
સવારનું ધ્યાન આદિ ક્રમ પૂર્ણ કરીને સવારે ૬. ૩૦ વાગે પ્રાકૃતિક વાતાવરણમાં જીરો પર્સેન્ટ પ્રદૂષણમાં હરિયાળી ઝાડીઓ વચ્ચે વોક કરવાનો એક વિશેષ નજારો હતો. મુકેશજી અને અમન સાથે પૂરું એક કલાક વોક કર્યા પછી પણ હજુ બીજી એક કલાક ચાલવા જેટલી ઉર્જા ફીલ થતી હતી.
આવી ને દૈનિક ક્રમ મુજબ ધ્યાનમાં બેઠો. નિયમિત લાંબુ ધ્યાન કરવાથી હવે વિકલ્પો શાંત પડવા લાગ્યા છે.
બપોરે અમનના ઘરે ગોચરી લેવા ગયા. બપોર પછીઅહીંની એક ચા બનાવાની ફેકટરીની મુલાકાત લીધી. ચા કેમ બને છે એની આખી પ્રોસેસ ખરેખર જોવા અને જાણવા જેવી છે. સાંજે પ્રાર્થના અને ધ્યાનનો ક્રમ પૂર્ણ કરી કેટલાક ચિનિંદા લોકો સાથે સત્સંગમાં બેઠા.
આજે ફ્રી ટાઈમમાં રોબિન શર્માની બુક વાંચતો હતો. એમને કહ્યું છે, માણસ રોજ સારા વિચારોથી દિવસ શરૂ કરે તો જીવવાની ગુણવત્તામાં અકલ્પિત વધારો થાય છે. રોજ સવારે શાંત વાતાવરણમાં એના માટે કેટલાક સૂત્રો રોજ સવારે રીપીટ કરવા જોઈએ તે આ પ્રમાણે છે:
✓ આજનો દિવસ મારા માટે ઇશ્વરના વરદાન તુલ્ય છે, એનો હું આદર કરું છું. આ દિવસને હું માણીશ અને તેનો ભરપૂર ઉપયોગ કરીશ. આવતી કાલ માત્ર એક વિચાર છે, આજ એ હકીકત છે.
✓ હું સર્વશ્રેષ્ઠ બનીશ, પીડિત નહીં. હું દેખાદેખી નહીં કરુ, જાત મહેનતથી આગળ આવીશ.
✓ હું ડરપોક નહીં, હિંમતવાન બનીશ. મારી શક્તિઓને બીજાના વાંક કાઢવામાં કે ફરિયાદ કરવામાં નહીં વાપરું પણ સર્જનાત્મક કાર્ય કરી શક્તિનું ગૌરવ વધારીશ.
✓ આજના દિવસે હું મારા ચિંતન માટે અને ડાયરી લખવા માટે સમય કાઢીશ અને સમયનો બગાડ કરતી વસ્તુઓથી દૂર રહીશ અને મારા સંકલ્પ પ્રમાણે દિનચર્યાને સાર્થક કરીશ.
✓આજે મેં મારી જાતને અને બીજાને આપેલા દરેક વચન પાડીશ. સારી આદતો રાખીશ અને મારા ચિત્તને પ્રસન્ન કરે એજ મેળવવા પ્રયાસ કરીશ.
✓ હું વાતો કરવાને બદલે કામ પર ધ્યાન આપીશ. બેજવાબદારીથી વર્તવાને બદલે નક્કર પરિણામ આપીશ.
✓ મને આરામની જરૂર હશે તો એને હું સમયનો બગાડ નહીં સમજુ. કારણ કે યોગ્ય આરામ વગર કામની ઘેલછા, મારી ક્ષમતામાં વધુ ઘટાડો કરશે.
✓ આજના દિવસે હું ગઇકાલ કરતા વધુ સમર્થ, વધુ આશાવાદી, વધુ હસમુખ અને વધુ કરુણામય રહીશ.
✓છેલ્લે હું મૃત્યુશૈયા પર હોઈશ ત્યારે, મેં કેટલા લોકોને પ્રેરણા આપી, કેટલાકની સંભાળ લીધી અને કેટલા પ્રત્યે મોટું મન રાખ્યું એજ મહત્વનું બની રહેશે.
✓ ઉચ્ચ સિદ્ધાંતો તરફની મારી આ સફરમાં મારી આ નાની નાની જીત મને મારી જ ઊંચાઈ અને સચ્ચાઈનો પરિચય કરાવે છે.
રોજ પ્રમાણે આજનો દિવસ મિનિંગફુલ રહ્યો. મન શાંત છે, વિકલ્પો રજા ઉપર છે, જાગૃતિની પળોનો અનેરો આનંદ છે.
શક્તિ શબ્દોની અને વિચારોની
કુન્નૂર
તા. એપ્રિલ 27, 2025
આજે બ્રહ્મમુર્હૂતમાં ધ્યાનમાં બેઠો, પ્રાણાયામ કર્યા. ત્યારબાદ સવારે હર્ષના ઘરે નાસ્તાની ગોચરી કરી, Ooty શહેર તરફ સાઇડ સીન માટે નીકળી ગયા હતા. મારી સાથે હર્ષ બરડિયા અને અમન કોઠારી હતા. અહીં અમે કર્ણાટક પાર્ક જોયો, ચાય બનાવાની ફેક્ટરીની મુલાકાત લીધી. બોટ લેકની પણ મુલાકાત લીધી. ખૂબ ચાલ્યા. સાંજે 6 વાગે પાછા કુન્નૂર પહોંચ્યા.
સૂતા પહેલાં ડાયરી લખવાની આદત મુજબ આજે શબ્દોની અને વિચારોની શક્તિ પર કંઈક વિશેષ લખવાનું મન થયું. દરેક માણસે જાત સાથે વાત કરવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. પોતાના વિશેનો પોતાનો અભિપ્રાય પોતાને સીધી અને સૌથી મોટી અસર કરે છે. પોતાના વિશે માણસ જે માનતો હોય તેના આધારે જ તેનો એટિટ્યૂટ બનતો હોય છે.
અનેક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, માણસ પોતાના વિશે જે ધારતો, માનતો અને વિચારતો હોય એવું જ તેની સાથે થાય છે. ઘણા લોકો પાસે ખાસ કંઇ હોતું નથી, પણ એ પોતાની જાતને ક્યારેય નબળા ગણતા નથી. દુનિયામાં એવા લોકો પણ હોય છે જેઓ પોતે જ એવું માને છે કે, આપણે તો કંઇ નથી. હું નિષ્ફળ છું.
માણસના વિચારો માણસને પોતાને સૌથી વધુ અસર કરે છે. આપણને જો આપણી કિંમત ન હોય, આપણે જ આપણને સસ્તા સમજતા હોઇએ તો દુનિયા ક્યારેય આપણી કિંમત કરવાની નથી. આપણે જ્યારે આપણી જાત સાથે વાત કરીએ છીએ ત્યારે આપણા શબ્દો, આપણો ટોન અને આપણા ભાવો કેવો હોય છે?
જાપાનના વૈજ્ઞાનિક ' ડો. માસારુ ઇમોટો' ની વોટર થિયરી વિશે કદાચ તમને ખબર હશે. ડો. માસારુએ પાણી પર એક અનોખો પ્રયોગ કર્યો હતો. તેમણે પાણીની બોટલો બે ભાગમાં વહેંચી હતી. પાણીની કેટલીક બોટલ અલગ પાડીને તેની સામે ખરાબ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા: "હું તને નફરત કરું છું". મનમાં પણ ઘૃણા અને નફરતન વિચારો અને ભાવધારા ચાલતી હતી.
બીજી તરફ પાણીની કેટલીક બોટલો હાથમાં રાખી તેની સમક્ષ શ્રેષ્ઠ અને પોઝિટિવ વાતો કરવામાં આવી. પ્રેમ અને સદભાવના વિચારો કરવામાં આવ્યા. પછી બંને બોટલોમાંનું પાણી ગાઢ ઠંડકમાં જમાવી દીધું અને માઇક્રોસ્કોપથી તેના ક્રિસ્ટલ સ્ટ્રકચર (જામેલા પાણીના સ્ફટિકો)ના ફોટા લીધા. એના પરિણામ ચોંકાવનારા આવ્યા.
જે પાણી સામે ખરાબ વાતો થઈ હતી, એ પાણીના સ્ફટિકો વિચિત્ર, તૂટી ગયેલા અને આકારવિહિન હતા અને જે પાણી સામે સકારાત્મક વાતો થઈ હતી એ પાણીના સ્ફટિકો અદ્ભુત રીતે સુંદર અને કલાત્મક હતા — બિલકુલ કમળના ફૂલો કે હિમકણો જેવી સુંદર રચનાઓ સર્જાઈ હતી. આ પ્રયોગ પરથી ડો. માસારુ ઇમોટો નું એવું કહેવું છે કે પાણી માત્ર રાસાયણિક પદાર્થ જ નથી, પરંતુ તે આપણાં વિચારો, ભાવનાઓ અને શબ્દો દ્વારા પણ પ્રભાવિત થઈ શકે છે.
માણસના શરીરમાં 70 ટકા હિસ્સો પાણીનો છે. બોટલના પાણીમાં જેમ વિચારોની અસર થઈ, એમ માણસના વિચારો, શબ્દોની અસર પણ માણસના શરીરમાં રહેલા પાણીને થાય છે. જાપાનના ડો. માસારુ ઇમોટોએ પોતાના વોટર એક્સપેરિમેન્ટ ઉપર 'The Hidden Messages in Water' નામનું પુસ્તક પણ લખ્યું હતું. એટલે જ દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે વાત કરવામાં સાવચેત રહેવું જોઈએ. પોતાની જાતને ક્યારેય કોસવી ન જોઇએ. પોતાના વિશે ખરાબ કે નબળું વિચારશો તો તેની ખરાબ અસરો થવાની જ છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે સારા વિચારો કરવામાં કંઇ ગુમાવવાનું નથી અને ખોટા વિચારો કરવાનો કોઇ અર્થ નથી, એ વાત તો સાચી છે જ. જે સફળ લોકો છે તેના પર જેટલા અભ્યાસ થયા છે એમાં પણ એ વાત બહાર આવી છે કે, તેમણે પોતાના વિશે ક્યારેય નબળા વિચારો કર્યા હોતા નથી. માણસે પોતાના વિચારનું નિરીક્ષણ કરતા રહેવું જોઇએ. મને કેવા વિચારો, કેટલા વિચારો અને એ શું કામ આવે છે?
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
અંતર્યાત્રાનું મધુર સમાપન
સાધના નો છેલ્લો દિવસ
કુન્નૂર: તા. એપ્રિલ ૨૬, ૨૦૨૫
આજે તિરુવન્નમલઇ અને કુન્નૂરની યાત્રા પૂર્ણ થઈ રહી છે. લગભગ બાર દિવસની આ યાત્રા સંપન્નતા તરફ છે. એક એવી યાત્રા, જેમાં આત્મસ્ફૂરિત આનંદ અને ઊંડા ધ્યાનમાં લીન થવાની અનુભૂતિ મળી. સતત ધ્યાનમાં પ્રવૃત થવાની પ્રેરણા મળી; જાણે આંતરિક જગતનો એક નવો દ્વાર ખુલી ગયો હોય. ખરેખર સાધનામાં ખૂબ આનંદ આવ્યો. ધ્યાનમાં ઊંડા જવાની અને ધ્યાન સતત ચાલુ રાખવાની પ્રેરણા મળી.
આપણે જીવનમાં સાધના શરૂ કરવાના વિચારો કરીએ છીએ, પરંતુ વિચાર વિચારમાં જ દિવસો, મહિનાઓ અને વર્ષો વહ્યા જાય છે. મન વાયદા કરતું રહે છે, પરંતુ પગલાં મંડાતા નથી. જીવનની અનુપયોગી પ્રવૃત્તિઓમાં અમૂલ્ય સમય બરબાદ કરી નાખીએ છીએ, પરંતુ સંકલ્પ ને પાછો ઠેલ્યે રાખીએ છીએ. આવું કરવું — એ મનની ગુલામી છે. આ એક એવો સંકેત છે કે સંકલ્પ હજુ ઊંઘે છે, સજાગ થયો નથી.
જીવનમાં કુદરત દ્વારા અપાતી ઠોકરોથી આપણે ક્યારેક જાગીએ છીએ... પરંતુ એ જાગૃતિ પણ થોડી ક્ષણોની હોય છે. જાણે કૂતરાની પૂંછડી સમયસર સીધી થાય અને પછી ફરી વાંકી થઈ જાય તેમ.
આ માનવ જીવન ફરી મળવાનું નથી. જ્ઞાનીઓ સમજાવવામાં કંઇ બાકી રાખ્યું નથી. છતાં આપણી ઊંઘ ઉડતી નથી. પોતાનો સંકલ્પ દૃઢ પોતે જ કરવો પડશે અથવા સદગુરુની વાત હૈયે ધારણ કરવા જેટલી શ્રદ્ધા કેળવવી પડશે, બાકી અનંત જન્મોથી ચૂકતા આવ્યા છીએ અને હજું ચૂકતા રહીશું. બીજાને સમજાવવામાં પણ હવે સમય બરબાદ કરવા જેવો નથી. અલ્પ આયુષ્ય આંખના પલકારામાં પૂરું થઈ જશે. જાગવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે.
આજે જ્યારે સાધનાની આ યાત્રા અંતિમ પડાવે પહોંચી ચૂકી છે ત્યારે એક અંતઃપૂર્ણ પ્રતિજ્ઞા કરવી જરૂરી બની છે.
જે અમૂલ્ય છે એ હવે હથેળીમાં છે. આ અંતરની શાંતિ અને ધ્યાનની ઊર્જા, માત્ર થોડા દિવસો માટે નહીં, પણ સંપૂર્ણ જીવન માટે સજીવન રહે એવી જાત પ્રત્યે અપેક્ષા અને પરમ તત્વને પ્રાર્થના..
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
સત્યના તાત્વિક અભિગમ અને અનેકાંતની અનુભૂતિ
*સાધના યાત્રા : નવમો દિવસ*
તારીખ : ૨૫ એપ્રિલ ૨૦૨૫
કુન્નૂર
આજની સવારે ધ્યાન તથા વોકિંગનો નિયમિત ક્રમ પૂર્ણ કર્યો. નાસ્તા બાદ જૌહરીજીના નિવાસે જવાનું થયું. ત્યાં એક કલાકનો આત્મીય સત્સંગ થયો. પછી ગોચરી કરી થોડો આરામ લીધો.
ત્યાર બાદ પૂજ્ય ગુરુવર્ય આચાર્ય મહાપ્રજ્ઞજીની પુસ્તક "दर्शन वही जो जिया जा सके" મારા હાથમાં આવી. વાંચવાનું શરૂ કર્યું, તો સમજાયું કે આ તો વિચાર વિમર્શથી ભરેલું, ઊંડાણ ધરાવતો સુંદર ગ્રંથ છે. તેમાં મુખ્યત્વે અનેકાંત દર્શનનું સુંદર વિવેચન કરવામાં આવ્યું છે. તેના તાત્વિક સારને અહીં સરળ ભાષામાં રજૂ કરું છું:
*સત્ય અને સત્યાંશ:*
સત્ય તો શાશ્વત છે. સત્યનું દર્શન કરનારા વ્યક્તિ તેનું સર્જન નથી કરતો, માત્ર તેનું વિવાદ મુક્ત વિવેચન કરે છે. ભગવાન મહાવીર પોતે પણ સત્યના રચયિતા નહોતા પરંતુ દર્શક હતા. લાંબી તપસ્યા દ્વારા તેમણે સત્યનું અનુભવ મૂલક જ્ઞાન મેળવ્યું અને ભાષાની મર્યાદામાં રહી તેને વ્યાખ્યાયિત કર્યું.
ભાષાની મર્યાદાના કારણે સત્યની સંપૂર્ણ અભિવ્યક્તિ થઈ શકતી નથી, માત્ર તેના સત્યાંશને રજૂ કરી શકાય છે. આત્માનું જ્ઞાન પોતાનાં માટે હોય છે, જ્યારે તેની અભિવ્યક્તિ અન્ય માટે હોય છે.
*અનેકાંતની શોધ:*
સત્ય તો એક જ હોય, છતાં મારા માટે અલગ અને બીજા માટે અલગ કેમ હોય છે? આ પ્રકારનું વિરોધાભાસી રૂપ માનવીને અસત્ય તરફ દોરે છે.
મહાવીરે આ મુદ્દે ગંભીર ચિંતન કર્યું. તેઓએ જોયું કે સત્ય તરફ જતાં પગલાં લથડી રહ્યાં છે. કારણ કે લોકો સત્યના અંશ ને જ આખું સત્ય માની લે છે. આ સમસ્યાના નિરાકરણરૂપે મહાવીરે અનેકાંત દર્શન રજૂ કર્યું.
*ભાષાની મર્યાદા:*
મહાવીરે સ્પષ્ટ કર્યું કે સંપૂર્ણ સત્યને એક સાથે જાણી શકાય છે પણ તેની વ્યાખ્યા કરવામાં ભાષાની મર્યાદા આવી જાય છે. એટલે સત્યના અંશની અભિવ્યક્તિ થઈ શકે છે, સંપૂર્ણ સત્યની નહીં.
*અનાગ્રહની સાધના:*
અનેકાંતે સાધક માટે એક માર્ગ દર્શાવ્યો – એ છે ઋજુતા અથવા અનાગ્રહ. એટલે કે તટસ્થ રહેવાનો અભ્યાસ.
સત્ય નિષ્ઠ સાધક કદી એક તરફ ઢળી નહીં જાય. જો મહાવીરનો શિષ્ય ઋજુ છે તો તે ન મહાવીર તરફ ઝુકે છે અને ન બીજા તરફ દ્વેષ પોષે છે.
તે મહાવીરના સત્યાંશને તેમના સમય, સંજોગો અને સંદર્ભમાં સમજે છે – અને એ જ દ્રષ્ટિથી બુદ્ધ કે લાઓત્સેના દ્રષ્ટિકોણને પણ એમના સંદર્ભે સમજે છે.
સત્યની શોધમાં સૌથી વધુ ઘર્ષણ એકાંતવાદી લોકોને કારણે ઊભું થયું છે – જે પોતાનો જ મત સાચો માને છે અને બીજાના મતને નકારી દે છે.
*ભેદથી ભરેલું જગત:*
આ દુનિયા ભેદથી ભરેલી છે. માનવીમાં અસંખ્ય પ્રકારના ભેદ છે: જેમ કે માન્યતાનો ભેદ, વિચારનો ભેદ, પસંદગીઓનો ભેદ, સ્વભાવનો ભેદ અને સંવેગનો ભેદ. સમજીએ આ બધાને:
ભિન્ન માન્યતાઓથી, ભિન્ન રુચિઓથી, ભિન્ન વિચાર અને સ્વભાવ એ સામાન્ય બાબત છે, એ હોવા જ જોઈએ પણ માણસમાં ખાલી વિચારભેદ કે સ્વભાવ ભેદ નથી, સાથોસાથ દરેક માણસમાં સંવેગો પણ છે. નકારાત્મક સંવેગો(ક્રોધ, અભિમાન, દ્વેષ વગેરે) અને આગ્રહો વિવાદ જન્માવે છે. સાંપ્રદાયિક તણાવ ઊભા કરે છે, પરસ્પરમાં દ્વેષ અને નફરત પેદા થાય છે.
*સંવેગ ભેદ:*
સંવેગ પણ ત્રણ પ્રકારના હોય:
મૃદુ: જે શાંતિમય સહઅસ્તિત્વમાં રહે છે.
મધ્યમ: જે વિવાદ ઊભા કરે છે.
તીવ્ર: જે હિંસા અને યુદ્ધ તરફ દોરી જાય છે.
*અનેકાંતના 5 આધાર સૂત્રો:*
૧. *સપ્રતિપક્ષ:*
જેનું પ્રતિપક્ષ હોય છે, તેનું જ અસ્તિત્વ ટકે છે. સુખ દુઃખ, સ્ત્રી પુરુષ, અંધકાર પ્રકાશ - આ બધા પ્રતિપક્ષો આપણા અસ્તિત્વનું પૂરક તત્વ છે. એટલે વિરોધી એ ખરેખર વિરોધી નથી, સહયોગી છે. એટલે વિરોધીઓ પ્રત્યે પણ મૈત્રી કેળવો, એમના પ્રત્યે દુશ્મની ઊભી ન કરો.
૨. *સહઅસ્તિત્વ:*
દરેક વસ્તુમાં અનેક વિરોધી યુગલ હોય છે. એ બધા એક સાથે રહે છે. પોતપોતાની મર્યાદામાં રહે તો જ અસ્તિત્વ જાળવી શકશે. વિરોધ માણસની માત્ર કલ્પના છે. સહ અસ્તિત્વમાં એ જ બાધક રૂપ છે.
૩. *સ્વતંત્રતા:*
દરેક જીવ પોતપોતાની સ્વતંત્રતા ધરાવે છે. એક વ્યક્તિ બીજાની સ્વતંત્રતા માટે બાધક ન બને. માત્ર પોતાના વિચારોને સાચા ન માને, બીજાના વિચારોને પણ સાંભળે અને તેનું સન્માન કરે.
૪. *સાપેક્ષતા:*
આપણું અસ્તિત્વ ભલે નિરપેક્ષ અને સ્વતંત્ર હોય, પણ આપણું વ્યક્તિત્વ સાપેક્ષ છે. પરસ્પર એક બીજાનો આધાર અને સહયોગ એ વિકાસનું મૂળ છે.
૫. *સમન્વય:*
કોઈપણ વિચાર સંપૂર્ણ સત્ય નથી. એ માત્ર સત્યાંશ છે. પોતાનો આગ્રહ છોડીને બીજામાં પણ સત્ય શોધો – તેને ગ્રહણ કરો, એ મનુષ્ય જીવનનો સાર છે.
*અનેકાંતના બાધક તત્વો:**
પહેલું છે અહંકાર: “હું સાચો છું”, “મારો ધર્મ જ સાચો છે” બીજું છે: એકાંગી દ્રષ્ટિ, આમ જ થવું જોઈએ, હું વિચારું એમ જ થવું જોઈએ અને ત્રીજું છે ઉદંડતા. પોતાના આગ્રહ અને અહંના લીધે વિખવાદ ઊભા કરવા.
*એક સુંદર પંક્તિ:*
"હું કહું એ જ છે સાચું,
તું જે કહે એ ખોટું.
આ હું - તું વચ્ચેના ઝઘડાનો,
શાંતિપાઠ એ જ અનેકાંત છે."