માઇન્ડસેટ: (વિચારશક્તિથી વિકાસશક્તિ સુધી)
Peace of Mind

*માઇન્ડસેટ:* (વિચારશક્તિથી વિકાસશક્તિ સુધી)

આધુનિક યુગમાં તકો અને અવસરો અસંખ્ય છે, જાણકારીનો મૂશળધાર વરસાદ છે, સાધન સામગ્રીનો પ્રચુર વૈભવ છે. છતાંય દરેક હૃદયમાં એક ખાલીપો છે અને એ ખાલીપો છે *આંતરિક અસ્થિરતાનો.* યુવા પેઢી સામે દુનિયાને જીતી લેવાના ઘણાં રસ્તાઓ છે, પણ પોતાને જીતી લેવાનો માર્ગ ધૂંધળો છે. સાચું સામ્રાજ્ય ન કોઈ રાજ્યમાં છે, ન રાજ્ય-ઘટનામાં. સાચું સામ્રાજ્ય તો વ્યક્તિના અંદરના જગતમાં છે. જ્યાં શાંતિ હોય, જ્યાં ગહેરુ મૌન હોય – જ્યાં વિકાસની ધૂનમાં આંતરિક સંતુલનનું સંગીત પણ વાગે છે. આવા આંતરિક સામ્રાજ્યની જ આજના યુવાનોને મોટી જરૂરિયાત છે.

અને એ માટે જરૂરી છે પહેલી બાબત જરૂરી છે - માઇન્ડસેટ:* (વિચારશક્તિથી વિકાસશક્તિ સુધી) 

એક યુવાનનું મન એ તેના જીવનનું કમાન્ડ સેન્ટર છે. જો આ મગજ સંકુચિત વિચારોથી ભર્યું હોય, તો તે જેટલો આગળ ધપે છે, તેટલો વધુ અંદરથી ખાલી પડી જાય છે. છતાં જો એનું મગજ મજબૂત પણ નરમાશવાળું, આત્મવિશ્વાસથી ભરપૂર પણ નમ્ર હોય – તો એ કોઈ પણ પરિસ્થિતિને અનુરૂપ બની શકે છે.

જૈનધર્મ આપણને શીખવે છે – *"અનેકાંતવાદ"*, એટલે કે અનેક દૃષ્ટિએ ચિંતન કરવાનો દૃષ્ટિકોણ. એ જ શિક્ષણ માઇન્ડસેટ માટે ધ્રુવતારો બની શકે છે. જેઓ જીવનમાં ફિક્સ મગજ લઈને ચાલે છે – જેમ કે, "મને તો આવું જ ગમે", "હું તો અમુક જગ્યાએ જ સૂઈ શકું", "મને અમુક લોકો સાથે જ ફાવે" " મને તો આ પ્રકારની ચા હોય તો જ ભાવે",- આવા લોકો પોતાના જ મગજ સાથે બંધાઈ જાય છે અને જીવન તેને એકાએક એવો યુ ટર્ન આપી દે છે કે જ્યાં એને ધારેલા બધા ગણિતોને બદલવા પડે છે.

માઇન્ડસેટ એટલે, તમારા વિચારોની વણાટ. એમાં જેટલું લચકપણું હશે એટલા તમે સ્વતંત્ર હશો. એક જૈન યુવક તરીકે જીવનમાં તમારો મંત્ર બની બનાવી લ્યો – "જ્યાં છું ત્યાં ખુશ છું, જે છે એ પૂરતું છે, જે મળે એમાં આનંદ છે."

અંતે વાત એ છે કે જેમ પાણી પોતાનું સ્વરૂપ નદીનાં વળાંક મુજબ બદલે છે પણ પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, એમ માઇન્ડસેટ એ છે કે જ્યાં સ્થિરતા અને સંવેદનશીલતા બંને સાથે ચાલે, જ્યાં મૂલ્યોની દૃઢતા અને વર્તનની નરમાશ સાથે ચાલે.

Add Comment