Blog

This is given in English and Gujarati. The blog contains Saman Shri Shrutpragyaji’s special short messages as well as summaries of his lectures and reflections. Reading it brings inspiration, personal confidence, and spiritual upliftment.

અનુચિન્તન: 24: વ્યસ્તતાના વ્યસની ન બની જતા!
જીવનમાં એક વસ્તુ એવી છે જેના પર ક્યારેય સો ટકા વિશ્વાસ મૂકી ન શકાય અને એ વસ્તુ સમય છે. સમય ક્યારે માણસના મનસૂબા ઉથલાવી દે તે કહી શકાય નહિ. આપણે બધા સારી રીતે જાણીયે છીએ કે આપણું ધાર્યું કંઈ થતું નથી. કરવું હોય છે કંઈક અને થઇ જાય છે કંઈક. આપણે ધાર્યું ન હોય અને એવું જો થઇ જાય તો આપણે તેને ચમત્કારમાં ખપાવીએ છીએ. અને એ પ્રમાણે ન થાય તો આપણે નસીબને દોષ આપવા સિવાય કાંઈ કરતા નથી. સમયની એ ફિતરત છે કે આપણી સમજની પરે હોય એવું જ એ કરતો ફરે છે. ઘણી વાર અનુભવ્યું હશે કે રમત રમતમાં લીધેલું જોખમ અને નિર્ણય આરામથી પાર પડી જાય છે અને ક્યારેક ખૂબ વિચારીને અને યોજનાબદ્ધ રીતે ગણતરી બાંધીને લીધેલા નિર્ણયો નિષ્ફળ જાય છે. 

કોઈએ સપને પણ વિચાર્યું'તું કે કોરોના આપણી આ દુર્દશા કરશે? અરે ! એ કોરોના ચાઈનામાં હતો ત્યારે પણ આપણને લાગતું હતું કે એ તો ત્યાંનો પ્રોબ્લેમ છે, એ આપણા સુધી થોડો પહોંચશે અને પહોંચશે તો આટલું ભયાનક એનું રૂપ હશે એવી કોણે ધારણા બાંધી હતી? અતિ વ્યસ્ત રહેતા આપણે લોકો ઘરમાં બે મહિના સુધી બંધ રહીશું - ક્યારેય વિચાર્યું હતું? પહેલા આખી દુનિયા બીઝી હતી, ફુરસદ લક્ઝરી બની ગઈ હતી, માણસ પાસે બીજા માટે તો ક્યાં પોતાના માટે પણ સમય નહોતો, આજે સમય ક્યાં પાસ કરવો એ સમસ્યા છે, ફુરસદ સાવ સસ્તી બની ગઈ છે, હવે પોતા માટે અને સૌ માટે સમય જ સમય છે. પરંતુ ધ્યાન રાખજો લોકડાઉન ખૂલી ગયું છે અને ખૂલી રહ્યું છે. ફરી પાછા આદતવશ વ્યસ્તતાના વ્યસની ન બની જતા. મને ખબર છે આ વ્યસન છૂટવાનું નથી !

એક વાત યાદ રાખજો, સમયને ફરી જીવી શકાતો નથી. વીતેલો સમય માત્ર સ્મરણ બનીને રહી જાય છે. આજે હું આપને એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં જે આવે તેને ખૂબ પ્રેમ આપજો, સન્માન આપજો, સમય આપજો, જે ક્ષણ જેની સાથે મળે એ મનભરીને જીવી લેજો,પોતાની વ્યક્તિ ન હોય ત્યારે માણસ અફસોસ કરતો રહે છે કે આમ કરવાનું રહી ગયું. લતા હિરાણીએ એમની કૃતિમાં સરસ લખ્યું છે - ' હું મૃત્યુ પામીશ અને તારા આંસુ વહેશે, જેની મને ખબર નહિ પડે, તું અત્યારે જ થોડું રડ ને ! હું મૃત્યુ પામીશ પછી તું મારી કદર કરીશ, જે હું સાંભળી નહિ કરી શકું, તું એ બે શબ્દો હમણાં જ બોલ ને ! હું મૃત્યુ પામીશ અને તું મારા દોષો ભૂલી જઈશ, જે હું જાણી નહિ શકું, તું મને હમણાં જ માફ કરી દે ને ! એટલે જ કહું છું અવસરની રાહ ન જુઓ, રાહ જોવામાં ઘણીવાર બહુ મોડું થઇ જાય છે. જો તમારી પાસે તમારા લોકો માટે સમય ન હોય તો માનજો કે તમે સૌથી વધુ ગરીબ છો !
  
- સમણ શ્રુતપ્રજ્ઞજી                                                                              
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 23: જાણવું સહેલું છે, અમલમાં મૂકવું અઘરું પડે છે
ટેક્નોલોજી અને મીડિયાના માહોલમાં આપણે બધા બહુ જ્ઞાની થઇ ગયા છીએ, આપણું જ્ઞાન આપણને કેટલું કામ આવે છે એના પર ચિંતન કરવું જરૂરી છે. બીજાને સમજાવવા આપણે બધા જ્ઞાની છીએ. ઘણા ખરા લોકો પોતાના વોટ્સએપના સ્ટેટસમાં સુંદર મજાના સ્લોગન મૂકે છે, પણ એ સ્લોગન બીજાને ઈમ્પ્રેસ કરવા માટે હોય છે કે પોતાના જીવનમાં ઈમ્પ્લીમેન્ટ કરવા માટે? જેટલા સુંદર અને પ્રેરણાદાયી વાક્યો આપણે શૅર કરીએ છીએ એમાંનું એકાધ વાક્ય પણ આપણે અમલમાં મૂકીએ તો કામ થઇ જાય - પણ આવું આપણે લગભગ કરતા નથી, કેમકે ખૂબ અઘરું પડે છે. 

હમણાં કોરોનાના વિકટ માહોલમાં કેટલી જ્ઞાનવર્ધક વાતો સાંભળવા મળે છે, બહાર ન જઈ શકો તો અંદર જાઓ - આ વાક્ય ખૂબ ઊપડ્યું, પણ કોણ અંદર જાય છે? કોણ અંદર જવાનો અર્થ પણ સમજે છે? અંદર જવું એટલે ધ્યાનમાં બેસવું આ કોને ખબર છે? કેમકે આ જ્ઞાન એક તો ઉધાર લીધેલું છે અને પ્રવૃત્તિનું જેને વ્યસન થઇ ગયું છે એના માટે ધ્યાનથી અઘરું કશું નથી. એ ધ્યાનમાં બેસી જ નહિ શકે.. 

બધાને હવે ખબર પડી ગઈ છે કે કોરોનાની કોઈ દવા નથી, રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ જ એનો સ્થાઈ ઉપાય છે. પ્રાણાયામ કરીને આ વધારી શકાય છે એ પણ હવે જાણી લીધું છે છતાં કેટલા લોકો પ્રાણાયામ નિયમિત કરતા હશે? કોઈ વસ્તુની ખબર જ ન હોય તો એવી વ્યક્તિને મૂર્ખ કહેવાય પણ જેને ખબર છે છતાં એ પ્રમાણે કરે નહિ તો એને શાસ્ત્રમાં મૂઢ કીધા છે. દુનિયામાં મૂર્ખ ઓછા છે, મૂઢ વધુ છે. 

એક પોલીસના ઘરે ચોર ઘૂસ્યા, પત્નીએ પતિને કહ્યું - જાગો, જુઓ, ચોર આવે છે. પતિ કહે મને ખબર છે તું શાંતિથી સૂઈ જા. ચોર ખરેખર ઘરમાં ઘૂસ્યો, પત્નીએ પતિને કહ્યું જુઓ ચોર અંદર આવ્યો છે, ફરી પતિએ એ જ જવાબ આપ્યો મને ખબર છે, તું ચિંતા ન કર. થોડીવારમાં ચોર કિંમતી વસ્તુ ઉપાડીને ભાગ્યો, ફરી પત્નીએ કહ્યું પણ પેલો આપણી વસ્તુઓ લઈને ભાગ્યો, હવે તો કંઈક કરો, ત્યારે પોલીસે કહ્યું - હમણાં હું ડ્યૂટી પર નથી, શાંતિ રાખ. એને શાંતિ રાખી અને ચોરે પોતાનું કામ પતાવી દીધું. બસ, કરવાની વાત આવે એટલે આ એક જ ડાયલોક બોલીયે છીએ હમણાં હું ડ્યૂટી પર નથી, 
  
- સમણ શ્રુતપ્રજ્ઞજી 
 પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 22: પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ તો માણસ પ્રત્યે કેમ નહિ?
સંબંધોનું ગણિત ખૂબ વિચિત્ર અને અટપટું છે. કેટલાક સંબંધો નજીકના હોય છે અને કેટલાક દૂરના. ઘણીવાર નજીકવાળા દૂર ચાલ્યા જાય છે અને દૂરવાળા નજીક આવી જાય છે. આની પાછળ માણસના મનનું મનોવિજ્ઞાન કામ કરે છે. એ મનોવિજ્ઞાન એ છે કે આપણે માણસને એ બધી બાબતમાં પૂર્ણ હોવો જોઈએ એ રીતે જોવા ટેવાયેલા છીએ. આ ક્યારેય શક્ય જ નથી, આપણી બાબતમાં પણ આ ક્યાં શક્ય છે. આપણામાં પણ કેટ કેટલી ખામીયો છે. પરંતુ આ ગણિત આપણે આપણા માટે નથી લગાવતા, બસ, બીજો સંપૂર્ણ હોવો જોઈએ. બીજો સંપૂર્ણ હોય એની રીત પણ આપણી પાછી અનોખી છે. એ રીત એ છે કે બીજો મારી નજરમાં, મારા મત પ્રમાણે, મારી અનુસાર સંપૂર્ણ હોવો જોઈએ. આ ક્યારેય સંભવ જ નથી અને એટલે નજીકવાળા સાથે અણગમો ઉભો થાય છે. દૂરવાળા આપણી નજીક આવે છે ખરા પણ એ પણ આપણા જીવનમાં ઝાઝું ટકશે કે કેમ એ એક યક્ષ પ્રશ્ન છે. કેમકે એને માપવાના તરાજુ જો એ જ હશે તો એ પણ કાલે દૂર ચાલ્યા જશે.

એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે, સમણજી ! મને પશુ પક્ષીઓ ખૂબ ગમે છે, પશુઓની નિર્દોષતા અને એનું ભોલાપણું મને રોમાંચિત કરી નાખે છે, પક્ષીઓનું નિઃસંગ વિહરવું, અને પક્ષીની ગોદમાં એની ચહચહાટ મનને આકર્ષિત કરે છે. આવો પ્રેમ અને એવો ભાવ મને માણસો પ્રત્યે અને ઘરના સભ્યો પ્રત્યે ક્યારેય નથી જાગતો - આનું કારણ શું? જવાબ આપતા મેં કહ્યું - કારણ ખૂબ સ્પષ્ટ છે. પક્ષીઓ અને પશુઓ તમારા ઘરમાં નથી, તમારા જીવનનો ભાગ નથી, એ દૂર છે અને એની સાથે તમારો સંબંધ માત્ર ઘડીભરનો છે, એમની કૂટેવો અને આદતોથી તમે પરિચિત નથી, એ તમારા ઈગોને હર્ટ કરવા નથી આવતા, માત્ર તમે તેના સારા પક્ષથી પરિચિત છો એટલે એ તમને વધુ ગમે છે.

ઘરના લોકો સાથે આ એપ્રોચ નથી. કેમકે એ તમારા ઘરમાં છે, એ તમારાથી બિલકુલ નજીક છે, એમની સાથે તમારો સંબંધ જીવનભરનો છે, એમની બધી જ ખામીઓ અને દોષોથી તમે પરિચિત છો, એ તમારા ઈગોને પણ જાણતા કે અજાણતા હર્ટ કરે છે, પરિણામે એમના પ્રત્યે તમારા મનમાં દ્વેષ ઉપજે છે. આ જ કારણના લીધે આપણને પશુ પક્ષીઓ ગમે છે અને માણસો નથી ગમતા. જે પશુ પક્ષીઓ તમને ગમે છે એને ઘરમાં લાવીને રાખી જુઓ પછી ખબર પડશે એની સાથે કેમ રહેવાય છે. ગમે ત્યાં ટોયલેટ બાથરૂમ કરશે, ગમે ત્યાં હરશે - ફરશે અને બધું ગંદુ કરશે, સાજું માંજું થશે અને તમારી જિંદગી એની ટેક કેયર કરવામાં જ જશે પછી ખબર પડશે કે કેટલી વીસે સો થાય છે.

- સમણ શ્રુતપ્રજ્ઞજી   
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 21: ​​​​​​​સૌ માટે સમાધાનનો સેતુ બનીએ
સંકટની ઘડીમાં માણસની સાચી કસોટી થાય છે, જયારે બધું બરાબર હોય છે ત્યારે આપણે સારા હોઈએ છીએ. આ સારા હોવામાં કોઈ સત્ત્વ નથી. મુશ્કેલીના સમયે માનવીનો અસલી ચહેરો ઉજાગર થાય છે. ત્યારે ખ્યાલ આવે છે કે આપણે કોણ છીએ અને કેવા છીએ. આવા સમયે પસંદગીના બે જ રસ્તા છે - કાં તો આપણે સમસ્યાનો ભાગ બનીએ છીએ અને કાં તો સમાધાનનો ભાગ થઈએ છીએ. પોતાના જીવનના ક્રિયા કલાપો પર નજર નાખીને જો જો તો ખ્યાલ આવશે કે આપણો નંબર શે'માં આવે છે? ઘણા લોકો આજે પણ પોતાના માટે અને અન્યો માટે સમસ્યાનો એક હિસ્સો છે. સમાધાનનો ભાગ બનવું એ સ્વયંને બચાવવા માટેની સાવધાની છે અને અન્યોની જિંદગી સુરક્ષિત રાખવાની કાળજી છે. આવા સમયે જયારે આપણે ગંભીર મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છીએ ત્યારે શું ખરેખર આપણે છ ફૂટનું અંતર જાળવીએ છીએ ખરા? આપણે માસ્ક અને હાથની સફાઈમાં સજાગ છીએ ખરા? 

ભારતીય લોકોમાં આ બાબતે શિસ્તનો પૂરેપૂરો અભાવ પહેલાથી જ ચાલ્યો આવે છે. બેદરકારી આપણા લોકોના ડીએનએમાં છે. એટલે લોક ડાઉનમાં જો આટલા કેસો વધી રહ્યા છે તો એ ખૂલશે પછી શું સ્થિતિ બનશે કલ્પના કરીને ઘણી વાર ઊંઘ ઉડી જાય છે. ચોક્કસ અત્યારે આપણી સ્થિતિ ઇટાલી અને અમેરિકા જેવી નથી, અને એનું કારણ છે - સમય પર આપણે જાગી ગયા અને બીજું પશ્ચિમી દેશો કરતાં આપણા લોકોની રોગપ્રતિકારક શક્તિ આયુર્વેદના પ્રભાવે અને કઠોર જીવન શૈલીના કારણે પાવરફૂલ છે. છતાં આમાં બહુ ફુલાવા જેવું નથી. કોરોના સાથે હજુ ઘણી લાંબી દૂરી તય કરવાની બાકી છે. હજુ કોરોના એ બિસ્તરા પોટલાં સમેટ્યાં નથી. કોને ખબર એના અસલી ચહેરાના દર્શન હજુ બાકી હોય. આ ડરવાની વાત નથી, સાવધાની માત્ર છે અને શિસ્તનું કડકાઈથી પાલન કરવા માટે છે. કોરોનાની ઘટનામાંથી ઘણું ઘણું શીખવાનું છે. એક મોટી વસ્તુ એ શીખવાની છે કે આપણે પોતાના માટે અને અન્ય સૌ માટે સમાધાનનો સેતુ બનીએ, સમસ્યાનો હેતુ ક્યારેય ન બનીએ.

  
- સમણ શ્રુતપ્રજ્ઞજી   
 પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 20: કોરોનાનું આંતરિક સુરક્ષા કવચ
નિષ્ણાતો કહે છે કે કોવિડ19 ઘણા સમય સુધી આપણી સાથે જ અને આપણી આજુબાજુ જ રહેવાનો છે. એટલે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આની સામે લડવા શું કરવું જોઈએ? એક શિલ્ડનું નિર્માણ કરો. મીડિયાએ લગભગ બાહ્ય શિલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ પણ જરૂરી છે કેમ કે તે વાયરસને ફેલાતો અટકાવે છે. આમાં શારીરિક દૂરી, 20 સેકન્ડ સાબુથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, અને સેનિટાઇઝર લગાતાર વાપરતા રહેવું. પરંતુ આમાં ઘણી વાર ચૂક થવી સંભવ છે. એટલે સાથોસાથ એક બીજું ભીતરી શિલ્ડ બનાવવું જરૂરી છે, જેની લગભગ આપણે અવગણના કરી છે. આ શીલ્ડનું નામ છે - રોગપ્રતિકારક શક્તિ.

રોગપ્રતિકારક શક્તિ એ માઇક્રોસ્કોપિક આર્મી છે, જે આપણા મોઢામાં, નાકમાં, ચામડીમાં, ફેફસાંમાં, અને મળદ્વાર પાસે રહે છે. આ શક્તિને મજબૂત બનાવવી આપણા હાથમાં છે અને આ જ વાયરસ સામે લડવાનો સ્થાઈ ઉપાય છે. કેટલાક ઉપાયો –

1. પ્રાણાયામ કરો: દરેક પ્રાણાયામ ઓછામાં ઓછું 5-5 મિનિટ કરો. દિવસમાં બે વાર પણ કરી શકાય. 

એક - કપાલભાતિ કરો, 
બે - શ્વાસને નાકથી લ્યો અને મોઢાથી છોડો, 
ત્રણ - શ્વાસને અંદર લઇ, અંદર રોકો અને બહાર છોડી,બહાર રોકો - રોકી શકાય એટલું જ રોકો.  

2. ખાલી પેટ ચાર સેટ સૂર્યનમસ્કાર કરો.

3. શરીરના કોઠા પ્રમાણે ઉકાળો પીઓ જેમાં આદુ, ફુદીનો, તુલસી,ગોળ, મરી, હળદર અને ઉપર જરાક ગાયના ઘીના ટીપા નાખી સેવન કરો.

4. દિવસમાં એકવાર કે વધુ બાફ લેવો.

5. જરા ગરમ એવા પાણીમાં અડધું લીંબુ નીચોવીને વારંવાર વાપરવું, 

6. નિયમિત 10 મિનિટ ધ્યાન કે શવાસન કરવું.   

આ ઉપાય સરળ લાગે છે પણ સરળ હોવાનો અર્થ હંમેશા સરળ નથી હોતો. નિયમિત પ્રયોગ કરવા માટે ખૂબ જાગૃત રહેવું પડશે. જયારે આપણે આ બંને રક્ષા કવચનો ઉપયોગ કરીશું તો જાતને બચાવવાની 

સાથે આજુ બાજુ અને સમગ્ર રાષ્ટ્રને બચાવી શકીશું. સૌ પોતાના પ્રામાણિક પ્રયત્નથી આમાં વિજયી બને એવી પ્રાર્થના.   

-સમણ શ્રુતપ્રજ્ઞજી 
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

 

 

 

અનુચિન્તન: 19: ​​​​​​​પારિવારિક મોહ લઇ ન ડૂબે એ જો જો
અત્યારે હજુ ચારેય બાજુથી લોકો ગભરાયેલા દેખાય છે. મૃત્યુનો ભય માથા પર છે. આવા સમયે બધાને એમ થાય કે અમે પરિવાર સાથે રહીએ અને આ એક સ્વાભાવિક અને સુરક્ષિત પ્રતિભાવ છે કે બધા સાથે રહીને આ વિકટ સ્થિતિનો સામનો કરી શકીએ. એટલે વ્યક્તિ કોશિશ કરે છે પોતાના કુટુંબજનો અને મિત્રોને નજીક લાવવાની, પૂરી દુનિયામાં જ્યાં પણ આપણા લોકો રહે છે તેને પાછા વતન બોલાવી લઈએ એવા પ્રયત્નો થઇ રહ્યા છે અને સરકાર આમાં સહાય કરી રહી છે.

 મુશ્કેલી એ છે કે આપણે ખરેખર આવા ખતરનાક સમયમાંથી પસાર નથી થઇ રહ્યા કે કોઈએ તમારા વિરોધમાં વોરન્ટ બહાર પાડ્યું હોય, આ કોઈ એવી મુશ્કેલી નથી કે આપણે બધા મરી જવાના છીએ,  આ કોઈ  પરમાણુ હુમલો નથી. કોઈ એવો મોટો ભૂકંપ પણ નથી આવ્યો કે જીવનને ખતરો હોય, આ કટોકટી અલગ છે અને તેના માટે ભાવનાત્મક લાગણીથી દૂર રહી એક તટસ્થ અભિગમથી કામ લેવાની જરૂર છે. આપણે એક પેન્ડેમિક - રોગચાળાના સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. આ સમયે આપણો પ્રતિભાવ પારિવારિક મોહથી વિપરીત હોવો જોઈએ. આમાં એકસાથે ન રહેવું, દૂર દૂર રહેવું અનિવાર્ય છે, ઘરમાં રહેવું , આમાં કોઈ  ગડબડ ન થવી જોઈએ, તો જ આપણે બચી શકીશું..

જ્યાં આમાં ગડબડ થઇ છે, ત્યાંની શું હાલત થઇ છે આપણી સામે છે. ઇટાલી સાથે બરાબર આવું થયું હતું જ્યારે તેમની સરકારે મિલાન બંધ કરવાનું શરૂ કર્યું… દરેક વ્યક્તિ બહાર નીકળી અને રોગચાળાને આગળ વધારવા માટે ગુડબાય ઇટાલી કહી તેમના કુટુંબના વતનમાં ભાગી ગઈ. આપણે ત્યાં ભારતમાં પણ આવું જ થયું - કેટલાય લોકો બહાર નીકળી ખુલ્લે આમ ગ્રુપ એક્ટિવિટી કરવા લાગ્યા, પરિણામ પૂરા દેશને ભોગવવું પડયું. કોરોના હજુ ઠંડો નથી પડયો, ખૂબ સાવધાન રહેવાની જરૂર છે અને સાથોસાથ ભારતના ઉજ્જવળ આયુર્વેદ, યોગ અને પારંપરિક વિધિયો દ્વારા પોતાની અંદરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે.

સમણ શ્રુતપ્રજ્ઞજી 
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 



અનુચિન્તન: 18: કરુણા વાયરસનું સંક્રમણ સૌને થાય એ જરૂરી છે
સમય મુશ્કેલી ભર્યો છે. ઘણા લોકો સંઘર્ષભર્યા સમયમાંથી ગુજરી રહ્યા છે. શું થશે કંઈ જ નક્કી નથી. આ બધાના કારણે હવામાં ભયનો વાયરસ છે. વધતા તનાવના લીધે રોગપ્રતિકારક શક્તિ કમજોર થઇ રહી છે. એ આપણને વધુ ચિંતામાં મૂકી દે છે. આ ઝેરીલા દુઃષચક્રમાંથી બહાર નીકળવા માટે કરુણારૂપી વાયરસમાં પ્રવેશ કરવો પડશે. આનો ઉચ્ચાર કોરોના જેવો લાગે છે. છતાં એ કોરોનાથી પણ વધુ અર્થસભર છે. કરુણા સંસ્કૃત શબ્દ છે. સારા સમાચારોની આપ-લે કરવી, સારા વીડિયો જોઈ નાચવું, પ્રેરણાદાયક વિચારોનું ચારેય બાજુ સંક્રમણ કરવું - આ બધાને આપણે કરુણા વાયરસ કહી શકીએ. કોરોના સામે કરુણાના આવાજને સામૂહિક રૂપે બુલંદ કરવાની જરૂર છે. એવી કેટલીએ ઘટનાઓ બની રહી છે જેમાં લોકો ભયના સ્થાને પ્રેમનો અને માનવતાનો પરિચય આપી રહ્યા છે. આખી દુનિયામાં કોરોના કરતા કરુણાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે, આ ઘટનાના સદાય આપણા ચિત્તની સામે રાખવી જોઈએ અને એ જ આપણા આવતા ભવિષ્ય માટે નવી સંભાવનાઓ બનીને સામે આવશે.   

આપણે નવું જીવન પ્રારંભ કરવાના મધ્યમાં છીએ. કલ્પના કરી શકો કે ઇટાલિયન એરફોર્સ ગરીબોને સહાય કરી શકે, સ્પેનિશ સૈનિકો લોકોની સુરક્ષા અને હોંસલો વધારવા ગિટાર વગાડે, મહિલાઓ ઘરમાં વિપુલ પ્રમાણમાં માસ્ક બનાવી દાન કરે, ઈટાલીમાં કોરોના પીડિતોને મદદ કરવા ક્યુબા સફેદ વસ્ત્રોથી સજ્જ સેનિકો મોકલે, ભારતમાં લોકો પોલીસ અને ડોક્ટરોની સેવાના અનુમોદન માટે થાળી વગાડે, સામાજિક સંસ્થાઓ ઘરે ઘરે રાશન અને કોલેજનાં છોકરાઓ ઘરે ઘરે ટિફિન પહોંચાડે, મકાન માલિકો ભાડુઆતને ભાડાં લીધા વગર રહેવા દે, સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો માનવતાને સંકટમાંથી બહાર લાવવા કરોડોનું દાન કરે, એટલે એવું લાગે કે ઘણીવાર સંકટના સમયે પ્રતિક્રિયા રૂપે આપણી ભીતરમાં પડેલા કરુણાના સંસ્કારો જાગૃત થતા હોય છે.

પોલીસ ઘરની બહાર નથી નીકળવા દેતી છતાં વૈશ્વિક સ્તરે સહકાર વધી રહ્યો છે.  શોપિંગ મૉલ ખાલી છે છતાં ઘરમાં ભોજનની કોઈ અછત નથી, સામાજિક અંતર જરૂર છે છતાં  પોતાની બારીમાંથી ઝૂકીને પડોસીઓ સાથે ગીતો ગાવા માટે છોકરાઓ ઝૂમી ઉઠયા છે. દેશની બોર્ડરો હજુ શિલ્ડ છે છતાં આપણી સહયોગ ભાવના સાત સમુન્દર પાર સુધી પહોંચી છે. ભયના ગુપ્તચરો ચારેય બાજુ છે છતાં વિશ્વ શાંતિની દિવ્ય પ્રાર્થનાના સ્વર ચારેય બાજુ સંભળાય છે. ફાકી અને માવા માટે કાળા બજારી જરૂર દેખાતી હશે છતાં આ બધાની વચ્ચે ઈમાનદાર લોકો ચુપચાપ બીજાનું ભલું કરી રહ્યા છે, કોરોના પોઝેટીવ આવે કે ના આવે કરુણાને  ચોક્કસ હજુ વધુ પોઝેટીવ બનાવીને જ રહીશું. આ આખુંય યુદ્ધ કોરોના અને કરુણા વચ્ચેનું છે.  
સમણ શ્રુતપ્રજ્ઞજી 
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 16: કોરોનાએ આપણી જીવન શૈલી સુધારી નાખી છે
ચોક્કસ કોરોનાના લીધે નુકશાન ઘણું થયું છે. પરંતુ નુક્શાનની સામે ફાયદાનું લિસ્ટ રાખશો તો એ લાબું હશે. અનેક ફાયદાની વાતો આપણે જોઈ ગયા છીએ. અહીં એક ફાયદાની ચર્ચા કરવી છે અને તે છે આપણું સ્વાસ્થ્ય. કોરોના પોઝેટીવથી અનેક લોકો બીમાર પડ્યા છે. પરંતુ કોરોનાના નિમિત્તે અનેક લોકોનું સ્વાસ્થ્ય આડકતરી રીતે સુધર્યું છે. કોરોનાની બીમારી સિવાય હમણાં અન્ય કોઈ બીમારીની ખાસ ચર્ચા થતી નથી, કેમકે એને દેહના દ્વાર ખટખટાવાનું જ બંધ કરી દીધું છે. કોઈએ સાંભળ્યું કે કોઈને માથું દુઃખે છે, એસીડીટી હેરાન કરે છે, શરીરમાં કળતર થાય છે, હાડકાનું ફેક્ચર થયું છે ! નહીં સાંભળ્યું હોય, કેમકે આવા નાના મોટા અનેક રોગો ક્યાંય રવાના થઇ ગયા છે. અને તેનું મૂળ કારણ આપણું ખાનપાન સુધર્યું એટલે આપણું આરોગ્ય સુધર્યું. 

કેટલી ખરાબ ટેવ પડી ગઈ હતી બહાર ખાવાની ! જીભને કેવું માફક આવી ગયું હતું હોટેલનું સ્વાદિષ્ટ ખાવાનું ! દરેક બે ચાર દિવસે બહારનું ખાવાનું ન મળે તો ચેન નહોતું પડતું, યુવાનોને ફાસ્ટ ફૂડનો ચસ્કો લાગી ગયો હતો. બહેનોને પાણીપૂરી વગર મજા નહોતી આવતી, બાળકોને આઈસ્ક્રીમ વગર પેટમાં નિરાંત નહોતી થતી, અને હવે હોટલો બંધ છે, ફાસ્ટફૂડ ખાવું ખતરનાક છે, પાણીપૂરીની લારીઓ અને લારી ચલાવવાવાળા ભૈયાઓ પોતાના વતન રવાના થઇ ચૂક્યા છે, આઈસ્ક્રીમ કે ઠંડા પેય પીવા આજની પરિસ્થિતિમાં હિતાવહ નથી.

કોરોનાએ લોકોની જીવનશૈલીમાં એક ગજબનું શિસ્ત લાવી દીધું છે. લોકો હવે ખાવા પીવા બાબતે ખૂબ સાવધ થઇ ચૂક્યા છે. કેમકે મરવું કોઈને ગમતું નથી. હવે લોકો ત્રણેય ટાઈમ પોતાના ઘરે ખાવા લાગ્યા છે, પત્નીના હાથનું ખાવાનું હવે મીઠું લાગે છે. એટલું જ નહિ એ ભોજન વધુ સાત્વિક અને આરોગ્ય વર્ધક હોય છે. ઘણા પતિઓ પણ હવે લોકડાઉનમાં ઘરે રસોઈ કરતા થયા છે. યુવક યુવતીઓ પણ હવે મમ્મી પાસે કુકીંગ શીખે છે. આ એક ખૂબ સારી બાબત છે. આના પરિણામે લોકોનું મેડિકલ બિલ સાવ જ ઘટી ગયું છે. એક્સરે, એમ આર આઈ અને રિપોર્ટ કરાવાના ખર્ચા સાવ બંધ થઇ ગયા છે.

આ ઉપરાંત લોકો ઘરમાં નવરા હોવાથી યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરતા થયા છે, આયુર્વેદિક ઉકાળો પીવાની ટેવ પડી ગઈ છે, પુસ્તકો વાંચવાની રુચિ જાગી છે, જીવનમાં કોઈ ભાગાદોડ નથી એટલે તન - મનને ખૂબ આરામ મળી રહ્યો છે, લોકોને કુદરત અને ઈશ્વર પ્રત્યે ભરોસો વધ્યો છે, થોડે મેં ગુજારા હોતા હૈ - આ વાક્ય હવે જીવનમાં વણાઈ ગયું છે. આ જીવન શૈલી જો હંમેશા માટે રહે અને ફરી પાછી કૂતરાની પૂંછડીની જેમ મનનું પૂંછડું વાંકુ ન થાય અને સીધા પાટે ચાલે તો આરોગ્યના નવા વિજ્ઞાનનો જન્મ થશે.

સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

 

અનુચિન્તન:15: એકલાપણુ , એકાંત અને કૈવલ્ય
એકલાપણુ એ મનની નકારાત્મક અવસ્થા છે. એમાં બીજાની ઉપસ્થિતિની માંગ છે કેમકે બીજાની ગેરહાજરી કંટાળો ઉપજાવે છે. બહારથી કોઈ જુએ તો એને લાગશે કે તમે એકલા છો, પરંતુ અંદરમાં ભીડ ભરેલી છે. એકલા રહેવામાં તમે રાજી નથી. પરિણામે કંટાળીને તમે કંઈક ને કંઈક ન કરવાનું કરવા લાગશો - સમાચાર પત્ર વાંચશો - ટીવી ચાલુ કરશો, કોઈકને ફોન કરવા બેસશો. જો તમને ભીડ ગમે છે તો યાદ રાખજો તમે એકલા નહિ રહી શકો. આ અભ્યાસ એક જન્મનો નથી, અનેક જન્મોનો છે. આ ભીડના સંસ્કાર તમને એકલા રહેવા નથી દેતા. આપણું મન એ ભીડનો જ એક ભાગ છે. ચેક કરજો કે મનમાં શું ચાલે છે - એ જ ચાલતું હશે જે તમને ભીડે આપ્યું છે.

એકાંત એ બીજા પ્રકારનું એકલાપણુ છે. આ આત્મમુખી ભાવ દશા છે. એકલાપણાનો પૂરી સમજદારી પૂર્વકનો સ્વીકાર એ એકાંત છે. એકાંતનો અર્થ છે - હવે તમને પોતાનામાં રસ અને આનંદ આવવા લાગ્યો.એકાંતમાં પોતાની જાત સાથે હોવાની એક અલગ મજા છે.  અહીં કોઈની ગેરહાજરી પજવતી નથી, પોતાનું સાનિધ્ય જ પોતાને શાંતિ આપે છે. આમાં કોઈ વ્યસ્તતા પણ નથી અને કોઈ ભીડ પણ નથી. પોતાની જાત સાથે શાંતિનો અહેસાસ છે.મનનું પંખી બસ પોતાના માળામાં આવી ગયું.આ ધ્યાનની અવસ્થા છે.

ગૃહસ્થ અને સંન્યાસીમાં ફરક શું? ગૃહસ્થ એટલે એવી વ્યક્તિ જે સંબંધ બનાવીને ભીતરના એકાંતને ઢાંકવાની કોશિશ કરે અને સંન્યાસી એટલે જેને એ જાણી લીધું કે આ એકાંત એ મારો સ્વભાવ છે, તેનાથી ભાગવાની કોશિશ કરવાના બદલે તે એકાંતને ભોગવે છે. એકાંત જ એની સાચી શરણ છે. સંસારના તાપથી બચવા માટે પોતાના એકાંતમાં ઉતરી જાય એ સંન્યાસી. આવા સંન્યાસીને ખબર છે કે એકાંતમાં જ જીવનનું ફૂલ ખીલે છે. 

ત્રીજું એકાંત છે - કૈવલ્ય. આમાં ન પોતાનું સ્મરણ છે, ન અન્યનું, માત્ર બોધ છે, માત્ર સમાધિ છે. આ આનંદની અવસ્થા છે. આ ન નકારાત્મક દશા છે, ન સકારાત્મક, આ આત્માનો મહોત્સવ છે. એકાંતમાં ચોવીસ કલાક ન રહી શકાય, કૈવલ્ય દશામાં જ્ઞાની ચોવીસ કલાક રહે છે. આ વીતરાગની અવસ્થા છે. કૈવલ્ય એટલે હવે માત્ર આત્મા જ રહ્યો, આત્માસિવાય કોઈનું અસ્તિત્વ નથી.

 

  • સમણ શ્રુતપ્રજ્ઞજી 

  પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ