Blogs Details

ઊણોદરીથી થઇ શકે છે સંચિત્ત કર્મોથી મુક્તિ – સમણ શ્રુતપ્રજ્ઞજી

Peace of Mind

જૈન દર્શનમાં પ્રવૃત્તિ એ કર્મ નથી, પ્રવૃત્તિનું પરિણામ એ કર્મ છે.  સારા કે નરસા ભાવથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, એનું જયારે પરિણામ મળે છે એ કર્મ કહેવાય છે. સારા ભાવ સાથે કરેલી પ્રવૃત્તિનું સારુંકર્મ અને ખરાબ ભાવ સાથે કરેલી પ્રવૃત્તિનું ખરાબ પરિણામ મળે છે. આ કર્મો તરત ફળ નથી આપતા, એ કેટલોક સમય સત્તામાં પડ્યા રહે છે. જ્યાં સુધી એ સત્તામાં છે, ત્યાં સુધી એ કર્મોને ભોગવ્યાવિના તોડી શકાય છે. એ તોડવાની પ્રક્રિયાને ભગવાન મહાવીરે ‘નિર્જરા’ કહી છે. નિર્જરા એટલે કર્મોને આત્મા પરથી ખંખેરી દેવાની પ્રક્રિયા. આ નિર્જરામાં આપણે ‘અનશન’ની વાત કરી. આજે કર્મતોડવાની બીજી પ્રક્રિયા ‘ ઉણોદરી’ની વાત કરીએ.

આજે આખું વિશ્વ એક મોટી સમસ્યા કે એક મોટા રોગથી ઝઝૂમી રહ્યું છે. એ રોગ છે – મોટાપો. જેને આપણે મેદસ્વિતા કહીએ છીએ. ફાસ્ટ ફૂડના આ યુગમાં આ રોગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. જે ફૂડસ્વાદિષ્ટ હશે, એ સામાન્ય રીતે માણસ વધુ જ ખાશે. જે ભોજનમાં સ્વાદ હોય એમાં લગભગ સ્વાસ્થ્યના ગુણો નથી હોતા. એમાં વિરોધી આહાર અને દૂધની બનાવટોનો મોટો ભાગ હોય છે. જે ખાવાનોકંટ્રોલ ન રહેવાના કારણે મોટાપાનું કારણ બને છે. આ મોટાપો માત્ર બીમારી નથી પણ બીમારીનો બાપ છે. એ અનેક રોગોને જન્મ આપે છે. મોટાપો આવશે એટલે સુગરની બીમારીનો ખતરો વધી જાયછે. સુગરની બીમારી પછી કિડની, હૃદયને અને અનેક અંગોને નુકશાન પહોંચાડે છે. ધીરે ધીરે આખું શરીર બીમારીઓનું ઘર બને છે. માનસિક રીતે એ આળસને વધારે છે, પ્રાણશક્તિને ક્ષીણ કરે છે અનેઆયુષ્યને ઘટાડે છે. વજન વધારે છે. એકવાર વજન વધશે પછી તેને ઘટાડવું વહામું છે.

છ બાહ્ય તપમાં બીજું તપ છે – ઉણોદરી. જમવા બેસો ત્યારે તમારી પાસે બે જ વિકલ્પ છે – યા તો ભૂખ કરતા ઓછું ખાવું અથવા ભૂખ કરતા વધારે ખાવું. સામાન્ય રીતે માણસ ભૂખ કરતા વધારે ખાવાનોપ્રયત્ન કરતો હોય છે. આ ઉણોદરી ન કહેવાય, તેને પૂરોદરી કહેવાય. ઉદરને પૂરેપૂરું ભરવું એ પૂરોદરી છે. ઘણા તો પૂરું નહિ, વધારે પડતું પેટ ભરતા હોય છે. ઘણા લોકો કોઈના ઘરે કે પ્રસંગમાં જાયએટલે કહે કે, પેટ ભરાઈ ગયું પણ હજુ હૈયું નથી ભરાયું. એણે કોણ સમજાવે કે હૈયું તો પ્રભુના પ્રેમથી ભરાય, ભોજનના પ્રેમથી નહિ.

એક વ્યક્તિએ ખાવાની પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો. એમાં એક વ્યક્તિ સૌથી આગળ નીકળી ગયો અને સૌથી વધી પચાસ રોટલી ખાઈ ગયો. બધાએ કહ્યું ભાઈ તું જીતી ગયો અને અમે હારી ગયા, હવેતું ખાવાનું બંધ કર. પણ પેલો તો ખાયે જ જાય. બધાએ કહ્યું ભાઈ તું બંધ કર ને ? ત્યારે કહ્યું કે બંધ તો જ કરું જો તમે મારી પત્નીને કહો નહિ તો, કેમ કે નહી તો એ મને સાંજનું જમવાનું નહિ આપે. આમાણસ બધી જ મર્યાદા ઓળંગી ગયો છે. એક વાર તમે તમારી અંદરની અવાજને સાંભળતા નથી એટલે પછી તમે હવે હદ બહારનું ખાઈ શકો છો. આ માનસિક ભૂખ છે.

ઊણોદરીની પરિભાષા છે – ભૂખ કરતા થોડું ઓછું ખાવું. વધારે ભોજન કોણ માંગે છે – શરીર કે મન? તો પછી ઉણોદરી કરવા માટે શરીરનો કંટ્રોલ કરવો પડશે કે મનનો? ઉપવાસ કરવામાં શરીરનીશક્તિ વધુ અનુકૂળ હોવી જોઈએ અને ઊણોદરીમાં મનનો સંકલ્પ વધુ દ્રઢ હોવો જોઈએ.

ઊણોદરીના વિજ્ઞાનને જરા વિસ્તારથી સમજીએ . બે પ્રકારની ભૂખ છે – શારીરિક – બાયોલોજીકલ અને માનસિક – સાઈકોલોજિકલ. શારીરિક ભૂખ એટલે જૈવિક ભૂખ અને માનસિક ભૂખ એટલે આદતઆધારિત ભૂખ. શારીરિક ભૂખ ભીતર દબાયેલી છે. આદતની ભૂખ એના પર હાવી થઇ ગઈ. ઉણોદરી એટલે આદતની જે ભૂખ છે એનાથી ઓછું ખાવું એ નહિ, પરંતુ શારીરિક ભૂખ છે એનાથી ઓછું ખાવું.આદતની ભૂખ નકલી છે. એ ભૂખ ઘણાની આઠ દસ રોટલીની હોય, આ ભૂખ સાચી ભૂખ નથી. પહેલાથી શરીરની જરૂરત કેટલી ભૂખની છે એ જુઓ. પછી એનાથી પણ જયારે ઓછું ખાઓ છો તો એઉણોદરી છે. વાસ્તવમાં આપણે જે આખો દિવસ જેટલું ખાઈએ છીએ, એટલી શરીરને જરૂરત જ નથી. આપણે લગભગ લગભગ ત્રણ ગણું વધુ ખાઈએ છીએ. આજે પણ જૈનધર્મમાં દિગંબર સાધુ રોજેમાત્ર એકવાર જ ખાય છે, અને એ આરામથી જીવે છે, વધારે સ્વસ્થ રીતે જીવે છે. આપણે પણ ધારીએ તો આ ટેવ પાડી શકીએ. પરંતુ આપણે આદતની ભૂખના ગુલામ છીએ. ભૂખ લાગે ત્યારે ખાવું કેટાઈમ થાય ત્યારે ખાવું? ભૂખ લાગે ત્યારે ખાવું એ નિયમ એ લોકોને લાગુ પડે છે, જે રોજ નિયમિત સમયે જ ખાય છે. વચ્ચે વચ્ચે ખાવાની ટેવ વાળા માટે આ નિયમ નથી. એમને તો નિયમ કરવોજોઈએ કે ભૂખ લાગે ત્યારે જ ખાવું, એ પહેલા નહિ. આમ કરવાથી નેચરલ ભૂખને જગાવી શકીશું.

પુરુષ માટે 32 કોળિયા અને સ્ત્રી માટે 28 કોળિયા ખોરાક છે. એક કોળિયો એટલે કેટલું? પાછું મદ્રાસી વ્યક્તિ ખાય એટલે ખબર ન પડે કે કેટલા કોળિયા થયા. .એક કોળિયો એટલે લીબુંના કદ જેટલું ખાવું.ઉણોદરી આમ તો હંમેશા જ કરવી જોઇએ. બારે મહિના ઉપવાસ ન થઇ શકે પણ ઉણોદરી તો રોજ થઇ શકે ને? અમુક સમયે અને પ્રસન્ગે તો ખાસ ઉણોદરી કરવી જોઈએ. એકાસણું કરો ત્યારેખાસ ઉણોદરી પૂર્વક કરો, સ્વાદિષ્ટ વસ્તુ હોય ત્યારે ખાસ ઉણોદરી કરો, તપસ્યાનું પારણું કરો ત્યારે ખાસ ઉણોદરી કરો. સ્વાદિષ્ટ વસ્તુ ન હોય અને ખાવાનું ભાવે તેવું ન હોય ત્યારે તો સૌ કોઈ ઉણોદરીકરે, પણ એ મજબૂરી કહેવાય, ઉણોદરી નહિ. ઉણોદરી કરવાનો સ્વભાવ થઇ જવો જોઈએ.

ઉણોદરી કરવાના ઘણા બધા લાભ છે. ઉણોદરી કરનાર લાબું જીવે છે. આવું મહાવીર સ્વામી કહે છે અને આજના હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયનું અનુસંધાન પણ એજ વાત કરે છે. ઉણોદરી કરનારની સ્ફૂર્તિ સારીરહે છે. એ ક્યારેય થાકતો નથી. આવી વ્યક્તિ આળસથી હંમેશા મુક્ત રહે છે. ઉણોદરી કરનારના ચહેરા ઉપર એક પ્રકારનું તેજ હોય છે. આવા લોકોની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ તેજ હોય છે. વજનવધવાના પ્રોબ્લેમ ક્યારેય થતા નથી. પાચન તંત્ર સ્વસ્થ રહે છે. અનેક રોગો આવતા સહજ રીતે અટકી જાય છે.