"સાધના યાત્રા: નિરવતા વચ્ચે આંતરિક અજવાળું: સાધના યાત્રા: છઠ્ઠો દિવસ: એપ્રિલ ૨૨, ૨૦૨૫
Peace of Mind

સાધના યાત્રા: છઠ્ઠો દિવસ

એપ્રિલ ૨૨, ૨૦૨૫

આજે સવારે 5 વાગે કોઇમ્બતુર અને ત્યાંથી 8 વાગે કુન્નૂર પહોંચ્યો. મુંબઈથી સુરેન્દ્રજી દુગ્ગડે ગાડીની વ્યવસ્થા કરી હતી.. એમનો ભાવપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

અહીં મુકેશજી બરડીયાએ ભાવપૂર્વક સ્વાગત કર્યું. દેરાસર અને સ્થાનકની મુલાકાત લીધી. રાજસ્થાનથી અમૃતમુનિજીનો પણ ફોન આવી ગયો હતો.

આજે 10 થી 1 ધ્યાન અને મૌનમાં વિતાવ્યો તથા રાત્રે પણ 7 થી 9 ધ્યાનમાં બેસવાનો મોકો મળી ગયો. ધ્યાનની જે સઘન પ્રેક્ટિસ ચાલુ થઈ છે, એને હવે છોડવી નથી. એવું સતત અનુભવાય છે કે મૌન અને ધ્યાન વિના અંદરની દુનિયાને જાણવી અસંભવ છે. આધ્યાત્મિક ગતિ પકડવા માટે અને ભીતરી અનુભૂતિ માટે આ બંને સાધના અનિવાર્ય છે.

તિરુવન્ન્મલાઇમાં તાપમાન 40 ડિગ્રી અને અહીંયા કુન્નૂરમાં તાપમાન 20 ડિગ્રી જેટલું છે. પ્રકૃતિમાં કેટલો.તફાવત અને એની સાથે બદલાતી.માનસિકતા પણ કેવી વિચિત્ર. ગરમીની ઋતુમાં ધ્યાન માટે કુન્નૂર ક્ષેત્ર અતિ અનુકૂળ લાગે છે.

અહીંયા લાઈફ સ્ટાઇલ અતિ ધીમી છે, ઠંડીના હિસાબે સાંજના 6 વાગ્યા પછી ઘણાખરા લોકો ઘરોમાં ટીવી સામે વ્યસ્ત થઈ જાય છે, ઠંડા વાતાવરણના કારણે લોકોમાં આળસનું પ્રમાણ વધારે છે.

પ્રકૃતિ અને પહાડોનો આ પ્રદેશ છે. હરિયાળી ખૂબ ખીલેલી રહે છે. આ એક સુંદર નિલગિરી પહાડીઓમાં સ્થિત હિલ સ્ટેશન છે.

ચાના બાગો, પહાડીઓ, ધોધો અને ઠંડી હવાથી ઘેરાયેલું ભરપુર કુન્નૂર એ કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંનો મુખ્ય વ્યવસાય ચા છે.

અહીંનો ડોલ્ફિન નોઝ પોઈન્ટ (Dolphin’s Nose) એક પ્રસિદ્ધ વ્યૂ પોઈન્ટ છે, જ્યાંથી નીચેની ખીણો અને ધારાવાહિ ધોધોનું દૃશ્ય અદભૂત લાગે છે.

ઠંડા વાતાવરણ અને નિરવ શાંતિના કારણે ધ્યાન કરવા માટે આ ક્ષેત્ર ખૂબ અનુકૂળ છે. ભીતરી દુનિયાની યાત્રા માટે આ અમૂલ્ય ભૂમિ લાગે છે.

“અધ્યાત્મના રાહીએ સાધનાને ક્યારેય છોડવી નહીં; આ યાત્રા કદમ કદમ પર પ્રકાશ આપે છે.”

~ સમણ શ્રુતપ્રજ્ઞજી

Add Comment